For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

કપાસના વાવેતર પહેલા વાંચી લો આ ખાસ લેખ; બમણો થશે કપાસનો પાક

05:51 PM May 31, 2024 IST | V D
કપાસના વાવેતર પહેલા વાંચી લો આ ખાસ લેખ  બમણો થશે કપાસનો પાક

Cotton Cultivation: ચોમાસાના આગમન બાદ રાજ્યભરમાં પૂરવેગે કપાસનું વાવેતર શરુ થશે. રાજ્યમાં કપાસનું વાવેતર શરુ થાય તે પૂર્વે જ ખેતી નિયામકની કચેરી દ્વારા કપાસમાં વિવિધ રોગ તેમજ જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલા અને વાવણી(Cotton Cultivation) સમયે કઈ બાબતોનું ધ્યાન રાખવું, તે અંગે કેટલાક સૂચનો કરવામાં આવ્યા છે.

Advertisement

ખેતી નિયામક દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકામાં કપાસ પાકમાં ચૂસીયા પ્રકારની જીવાતોના સંકલિત વ્યવસ્થાપન માટે કેટલાક સૂચનો આપવામાં આવ્યા છે. કપાસના વાવેતર પૂર્વે ઉનાળામાં ઊંડી ખેડ કરવી, જેથી જમીનની તિરાડ કે ફાટમાં ભરાઈ રહેલા મીલીબગનો નાશ થઇ શકે. માર્ગદર્શિકામાં જણાવ્યા પ્રમાણે બીજને ઇમિડાકલોપ્રીડ ૭૦ ડબલ્યુ.એસ. ૭.૫ મિલી પ્રતિ કિલો બીજ અથવા થાયોમીથોક્ઝામ 70 ડબલ્યુ.એસ. 2.8 મિલી પ્રતિ કિલો બીજ પ્રમાણે માવજત આપી વાવણી કરવી, જેથી પાકની શરૂઆતની અવસ્થામાં ચુસિયા પ્રકારની જીવાતોથી રક્ષણ મેળવી શકાય.

Advertisement

શેઢાંપાળા ઉપર ઉગતા નિંદણો ખાસ કરીને ગાડર, જંગલી ભીંડા, કોંગ્રેસ ઘાસ વગેરે પ્રકારના નિંદામણોનો છોડ ઉખાડીને નાશ કરવો. મોલોમશી તથા તડતડિયાના જૈવિક નિયંત્રણ માટે પરભક્ષી લીલી પોપટી (ક્રાઈસોપા)ના ઈંડા અથવા ઉંચળને હેક્ટરે 10 હજારની સંખ્યામાં બે વખત છોડવી. ચૂસીયા પ્રકારની જીવાતના નિયંત્રણ માટે કપાસના પાકની ફરતે બે હાર મકાઈની અથવા મકાઈના 10 % છોડ અથવા કપાસની 10 હાર પછી એક હાર મકાઈની લઇ શકાય.

Advertisement

બીટી કપાસના પાન અને ઝીંડવાને નુકસાન કરતી ગુલાબી ઇયળોના સંકલિત વ્યવસ્થાપન માટે અગાઉં પાક પૂરો થઈ ગયા બાદ કપાસના ખેતરમાં ખરી પડેલા ફૂલ, કડી અને જીંડવા ભેગા કરી નાશ કરવો. શક્ય હોય તો પાકની ફેરબદલી અને દર બે વર્ષે ઊંડી ખેડ કરવી. વહેલી પાકતી, ચૂસિયા પ્રતિકારક, માન્ય બીટીશંકર જાતોના બિયારણની વાવણી (15 જૂન થી ૧૫ જુલાઈ) માટે ઉપયોગ કરવો.

ભારત સરકારની ગાઈડલાઈન મુજબ બીજ ઉત્પાદક કંપનીઓ દ્વારા બીટી કપાસના બિયારણ ૪૭૫ ગ્રામમાં જ 5-10% નોન બીટી અથવા રેફ્યુજીયા બિયારણની મિશ્ર પેકેટ તૈયાર કરી આપવામાં આવે છે, તેનું વાવેતર કરવું. આ ઉપરાંત પિંજર પાક તરીકે દિવેલા અને પીળા ગલગોટાનું કપાસની 10 હાર પછી એક હારમાં વાવેતર કરવું અને તેની ઉપર લીલી ઇયળ અને લશ્કરી ઇયળોના મુકાયેલા ઈંડા તથા ઇયળોનો સમયાંતરે નાશ કરવાથી પાકને જીવાતોથી રક્ષણ આપી શકાય છે.

Advertisement

કપાસની જીવાતોના કુદરતી દુશ્મનો અને લીલી ઈયળથી બચાવવા માટે કપાસમાં મકાઈ અથવા જુવાર અને ચોળીની ૧૦% પ્રમાણમાં છંટકાવ કરવો તેમજ કપાસના ખેતરની આજુબાજુ પિંજર પાક તરીકે બે હાર મકાઈ, જુવાર અથવા હજારી ગોટાનું વાવેતર કરવું. જ્યારે કાબરી ઇયળના નિયંત્રણ માટે કપાસના પાકની બે હાર વચ્ચે ભીંડાનું વાવેતર કરવું હિતાવહ છે. પાન ખાનારી ઇયળ(લશ્કરી ઈયળ)થી પાકને બચાવવા માટે કપાસના ખેતરની ફરતે દિવેલાનું વાવેતર કરવું, જેથી લશ્કરી ઇયળની માદા ફૂદીઓ દિવેલાના પાક ઉપર ઈંડા મૂકે છે. દિવેલાના છોડ પરથી આવા ઈંડા અથવા ઈયળના સમૂહને એકઠા કરી તેનો નાશ કરવો અતિ આવશ્યક છે.

કપાસના રોગોનું સંકલિત વ્યવસ્થાપન કરવા ખેતી નિયામકની કચેરી દ્વારા નીચેના પગલાઓ સૂચવવામાં આવ્યા છે:
• લાંબા ગાળે પાકની ફેરબદલી કરવી

• નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનું સપ્રમાણ જાળવી વપરાશ કરવો

• લીલો પડવાશ, છાણિયું ખાતર હેકટરે ૧૦ ટન અથવા પ્રેસમડ અથવા મરઘાનું ખાતર ૨ ટન પ્રતિ હે અથવા એરંડીના ૫૦૦ કિગ્રા ખોળમાં ૪ કિગ્રા ટ્રાઈકોડર્મા હારજીયાનમનું મિશ્રણ કરી વાવણી સમયે ચાસમાં જમીનમાં ભેજ હોય ત્યારે આપવાની ભલામણ છે.

• આંતર પાક તરીકે મઠ અથવા અડદનું વાવેતર કરવું

• કપાસમાં સુકારાના નિયંત્રણ માટે મકાઈને આંતર પાક તરીકે વાવવો

• કપાસમાં સુકારાના અસરકારક નિયંત્રણ માટે મકાઈ, જુવાર, રાઇડો અથવા બાજરીની ફેરબદલી કરવી

• વાવણી સમયે બીજને કાર્બોકઝીન ૩૭.૫%* થાઈરમ ૩૭.૫% ડીએસનાં મિશ્રણનો ૩.૫ ગ્રામ/કિલો બીજ મુજબ પટ આપી વાવેતર કરવું અથવા બીજને ટ્રાયકોડર્મા હારજીયાનમ અથવા ટ્રાયકોડર્મા વિરીડી જેવા જૈવિક ફુગ નિયંત્રકનો (૧૦ ગ્રામ/ કિલો) પટ આપી વાવેતર કરવું

• કપાસમાં ખૂણિયા ટપકા અથવા કેમ્પેટ્રીસ રોગ બીજન્ય હોવાથી બીજ માવજથી અટકાવી શકાય છે જેથી બીજની રુવાટી દૂર કરવી. એક કિલોગ્રામ બીજમાં ૧૦૦ મિલી ગંધકનો તેજાબ નાખી ૨-૩ મિનિટ સતત હલાવતા રહેવું ત્યારબાદ બીજને પાંચથી છ વખત સાદા પાણીમાં ધોઈ ત્યારબાદ પારાયુક્ત દવાઓ (એગ્રોસાન, સેરેસાન,ઇમિસાન )પૈકી એક દવાનો ૨-૩ ગ્રામ પ્રતિ એક કિલોગ્રામ બીજ મુજબ પટ આપવો અથવા સ્યુડોમોનાસ ફ્લેરોસન્સ ૧૦ ગ્રામ પ્રતિ કિલો બીજ પ્રમાણે માવજત આપી વાવેતર કરવું

• કપાસમાં મૂળખાઈ અથવા મૂળનો સડો, સુકારો રોગના નિયંત્રણ માટે પાકની ફેરબદલી, ઈન્ક્ડનો લીલો પડવાશ, છાણીયા ખાતરનો ઉપયોગ, મિશ્ર પાક તરીકે મઠ કે અડદનું વાવેતર, ટ્રાઇકોડર્મા વિરડી @ ૫ ગ્રામ પ્રતિ કિલો પ્રમાણે બીજ માવજત અથવા ટ્રાયકોડર્માં વિરીડી @ 2.5 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે 100 કિલોગ્રામ છાણીયા ખાતર સાથે વાવણી સમયે આપવું.

• કપાસમાં નવો સુકારો અથવા પેરાવિલ્ટના આગોતરા નિયંત્રણ માટે હલકી જમીનમાં કપાસનું વાવેતર નિકપાળાં પદ્ધતિથી પાળા ઉપર કરવું તથા જમીનમાં સેન્દ્રીય ખાતરો પૂરતા પ્રમાણમાં આપવા.

વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ કે જીવાત માટેની દવા છે, તે ભલામણ મુજબ અનુસરવા યાદીમાં વધુમાં જણાવાયું છે.

Tags :
Advertisement
Advertisement