ફરી એકવાર બંધ થશે શાળા-કોલેજ? કોરોનાએ વિદ્યાર્થીઓ પાછળ દોટ મૂકી, અહિયાં એકસાથે 64 વિદ્યાર્થીઓ...
ઓડિશા(Odisha): રાયગઢ(Raigadh) જિલ્લામાં 64 કોરોના સંક્રમિત વિદ્યાર્થીઓ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. તે જ સમયે, આરોગ્ય અધિકારીઓએ માહિતી આપી છે કે, રવિવારે રાજ્યમાં કોવિડ -19 ના કુલ 71 નવા કેસ નોંધાયા છે. છેલ્લા બે મહિનામાં આ પહેલીવાર છે જ્યારે એક જ દિવસમાં આટલી સંખ્યામાં કોરોના(Corona) સંક્રમિતો એક સાથે મળી આવ્યા છે. તેથી, ઓડિશા સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લા અધિકારીઓને સતર્ક રહેવા જણાવવામાં આવ્યું છે.
અહેવાલો અનુસાર, 4 મેના રોજ, રાયગઢ જિલ્લાના કોટલાગુડા વિસ્તારમાં સ્થિત ‘અન્વેષા’ નામની હોસ્ટેલના 257 વિદ્યાર્થીઓનો આરોગ્ય વિભાગ દ્વારા RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં 44 વિદ્યાર્થીઓ સંક્રમિત જોવા મળ્યા હતા. એ જ રીતે, બીસ્સામકટક બ્લોકની હાટમુનિગુડા સરકારી હાઈસ્કૂલમાં પણ કોવિડ -19 ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં 20 વિદ્યાર્થીનીઓ સંક્રમિત જોવા મળી હતી.
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, રાયગઢ જિલ્લા મેજિસ્ટ્રેટ સરોજ કુમાર મિશ્રાએ કહ્યું, ‘જિલ્લામાં કોરોના સંક્રમણ વધારે નથી. વિદ્યાર્થીઓમાં ચેપના કોઈ લક્ષણો જોવા મળ્યા નથી પરંતુ તેઓને અલગ રાખવામાં આવ્યા છે. હોસ્ટેલમાં મેડિકલ ટીમો તૈનાત કરવામાં આવી છે. આ પહેલા હોસ્ટેલના એક અધિકારીએ પણ કહ્યું હતું કે, ચેપગ્રસ્ત વિદ્યાર્થીઓમાં કોવિડ-19ના લક્ષણો નથી. છતાં તેમને અલગ રાખવામાં આવ્યા છે.
એવું પણ કહેવામાં આવ્યું હતું કે, હોસ્ટેલમાં ચેપ ફેલાતો અટકાવવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. આ દરમિયાન, ઓડિશાના આરોગ્ય પ્રધાન નવ કિશોર દાસે રાજ્યના અધિકારીઓને કોવિડ પરીક્ષણ માટે વિશેષ પગલાં લેવા જણાવ્યું છે. આ સાથે તેમણે લોકોને કોરોનાના નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે.
તાજેતરના આંકડાઓ અનુસાર, રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા 12,88,202 થઈ ગઈ છે. રાહતની વાત એ છે કે, ચેપને કારણે મૃત્યુનો એક પણ નવો કેસ નોંધાયો નથી. તો મૃતકોની કુલ સંખ્યા હજુ પણ 9,126 છે. તે જ સમયે, રાજ્યમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 160 છે. જ્યારે 12,78,863 લોકોએ કોરોનાને માત આપી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.